બનાસકાંઠામાં ખેડૂતો માટે 5158 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવાયો
- રવિ સીઝન ટાણે જ રાસાયણિક ખાતરની તંત્રીથી ખેડૂતોમાં વિરોધ ઊઠ્યો હતો
- ડીસા રેક પોઈન્ટ પર ઇફકોનું 3158 મેટ્રિક ટન, IPLનું 2000 મેટ્રિક ટન યુરિયા ઉતારાયુ
- કૃષિ વિભાગે ખેડૂતોને યુરિયાના અતિરિક્ત સંગ્રહથી દૂર રહેવાની સલાહ આપી
પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનના ટાણે જ રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે વિરોધ ઉઠ્યો હતો. ખાતર વિતરણ કેન્દ્રો પર સવારથી ખેડૂતોની લાઈનો જોવા મળતી હતી. યુરિયા સહિત ખાતરની તંગી નિવારવા રાજકીય નેતાઓ દ્વારા સરકારને રજુઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા યુરિયા ખાતરનો વધુ જથ્થો ફાળવવામાં આવ્યો છે. ડીસા રેક પોઈન્ટ પર ઇફકોનું 3158 મેટ્રિક ટન, આઈપીએલનું 2000 મેટ્રિક ટન યુરિયા ઉતારવામાં આવ્યું છે, જ્યારે જીએસએફસીનું 1200 મેટ્રિક ટન ખાતર ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
બનાસકાંઠા અને થરાદ જિલ્લામાં ખાતરનો જથ્થો ફાળવાતા ખેડૂતોએ રાહત થઈ છે. દરમિયાન કૃષિ વિભાગે ખેડૂતોને યુરિયાના અતિરિક્ત સંગ્રહથી દૂર રહેવાની સલાહ આપી છે. વધુ પડતો યુરિયા જમીનના કાર્બનિક જીવનને નુકસાન પહોંચાડે છે અને લાંબા ગાળે ઉપજ પર પણ માઠી અસર પાડી શકે છે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતોએ માત્ર જરૂરીયાત મુજબ જ ખરીદી કરવી અને સંતુલિત પોષણ વ્યવસ્થા તરફ વળવું હવે સમયની માંગ છે.યુરિયા સિવાયના વિકલ્પો પણ બજારમાં સહેલાઈથી મળતા હોવાથી એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, નાઇટ્રો ફોસ્ફેટ, પ્રોમ,એનપીકે,વોટર સોલ્યુબલ ખાતર તથા નેનો યુરિયાનો ઉપયોગ વધારવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોના મતે આ વિકલ્પો જમીનની તંદુરસ્તી જાળવીને પાકને જરૂરી તત્વો પૂરાં પાડવામાં મદદરૂપ થાય છે.
ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે કે યુરિયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. લોકોમાં ખોટો ભય સર્જાઈ જાય તેવી કોઈ સ્થિતિ નથી અને જથ્થો પૂરતો છે, હવે માત્ર સમજદાર ઉપયોગની જરૂરી છે. વૈજ્ઞાનિક ખેતી અને સંતુલિત ખાતર વ્યવસ્થા અપનાવવાથી જ રવિ સિઝનમાં ઉત્તમ ઉત્પાદકતા મેળવી શકાય છે.