ગાંધીનગરમાં વિશ્વ સિંહ દિને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની 5000 નાગરિકોએ લીધી મુલાકાત
- ગીર ફાઉન્ડેશન દ્વારા મુલાકાતીઓને સિંહ સંરક્ષણ અંગે વિડીયો પ્રેઝન્ટેશન અપાયુ,
- મુલાકાતીઓને ફૂલ છોડનું પણ વિતરણ કરાયું,
- “ફિલ ધ રોઅર, હિલ ધ ફીયર – ઇન્ફો ટોક ઓન લાયન એન્ડ નેચર ટ્રેઈલ” કાર્યક્રમમાં નાગરિકોએ ભાગ લીધો
ગાંધીનગરઃ વિશ્વભરમાં દર વર્ષે તા.10મી ઓગસ્ટના રોજ જંગલના રાજા તરીકે વિખ્યાત સિંહને સમર્પિત “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ લાવવાનો છે. બિડાલ કુળના વન્યજીવ સિંહ, પ્રકૃતિની આહાર શ્રૃંખલાની ટોચની કડી છે.
ગાંધીનગરમાં ગઈકાલે તા.10 ઓગસ્ટ અને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ‘ગીર’ ફાઉન્ડેશનના નિયામકના માર્ગદર્શન હેઠળ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત “Feel the Roar, Heal the Fear – Info Talk on Lion and Nature Trail” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબ-ગાંધીનગર સાથે જોડાયેલા પરિવારના બાળકો સહિત 40 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આ બાળકોને સિંહના પારિસ્થિતિકીય તંત્રમાં મહત્વની ભૂમિકા અને તેના સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સિંહ દિવસના રોજ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેનાર 5000થી વધુ મુલાકાતીઓને વિડીયો પ્રેઝન્ટેશન મારફતે વિશ્વ સિંહ દિવસ અંગે અગત્યની માહિતી પ્રદાન કરવામાં આઈ હતી. જેમાં એશિયાઈ સિંહ અંગે માહિતી આપતા વિડિયો દિવસ દરમિયાન બતાવવામાં આવ્યા હતા. તદુપરાંત ફૂલછોડ વિતરણનો પણ કાર્યક્રમ ઉદ્યાન ખાતે યોજવામાં આવ્યો હતો અને 200 જેટલા ફૂલછોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિંહના સંરક્ષણ માટે લોકભાગીદારી થકી કરાયેલા અવિશ્વસનીય પ્રયત્નોના પરિણામે ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઇ રહી છે. ચાલુ વર્ષે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી સિંહ વસતી અંદાજ મુજબ હાલ ગુજરાતભરમાં એશિયાઈ સિંહોની સંખ્યા 891 સુધી પહોંચી છે.