ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે 4 અધિકારીઓ સસ્પેન્ડ કરાયાં
અમદાવાદઃ વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. CM ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. ત્યારબાદ ગંભીરા બ્રિજ મામલે જવાબદાર 4 અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
દુર્ઘટના મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાયા છે. આ મામલે નીમાયેલ ઉચ્ચસ્તરીય તપાસ માટેની નિષ્ણાતોની ટીમે દુર્ઘટના સ્થળની જાત મુલાકાત બાદ પ્રાથમિક તપાસ અવલોકનો રજૂ કર્યા હતા. જેમાં માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઇજનેર જવાબદાર ગણાતા તેમને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરાયા છે.
આ દુર્ઘટનાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું. મુખ્યમંત્રીએ નિષ્ણાતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવા પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે.