લખનૌ એક્સપ્રેસ વે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત
લખનૌઃ આગ્રાના ફતેહાબાદમાં લખનૌ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કુંભ સ્નાન કર્યા પછી મુસાફરી કરી રહેલા એક પરિવારની કાર અકસ્માતનો ભોગ બની હતી. એવું કહેવાય છે કે કાર નિયંત્રણ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી કાર બીજી લેનમાં ગઈ અને સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.. ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં સવાર આખા પરિવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કારમાં ફસાયેલા પતિ-પત્ની સાથે માસૂમ પુત્ર-પુત્રીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઓળખ બાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
દિલ્હીના ઉત્તમ નગરના રહેવાસી ઓમ પ્રકાશ આર્ય પોતાની કારમાં પરિવાર સાથે કુંભ સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતા. સ્નાન કર્યા પછી, તે તેમની પત્ની 34 વર્ષની પૂર્ણિમા સિંહ, 12 વર્ષની પુત્રી આહના અને ચાર વર્ષના પુત્ર વિનાયક સાથે દિલ્હી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત થયો ત્યારે તેમની કાર આગ્રા-લખનૌ એક્સપ્રેસ વેના 31 કિમી દૂર પહોંચી હતી. કહેવાય છે કે કાર પહેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ પછી કાર કૂદીને એક્સપ્રેસ વેની બીજી લેનમાં પહોંચી હતી.
આ સમય દરમિયાન, આ કાર ઝડપથી સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓમ પ્રકાશ અને તેમના પરિવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માહિતી મળતા જ ફતેહાબાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે એસએન હોસ્પિટલના ઇમરજન્સીમાં મોકલી આપ્યા છે. અકસ્માત બાદ બંને વાહનો ક્ષતિગ્રસ્ત થતાં એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી વાહનોને હટાવીને રસ્તો સાફ કર્યો. પોલીસે જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને માહિતી આપવામાં આવી છે. પોલીસ તેના આગમનની રાહ જોઈ રહી છે.