બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4નાં મોત
- વહેલી પરોઢે હાઈવે પર રામનગર નજીક સર્જાયો અકસ્માત,
- બેના ઘટના સ્થળે અને બેના સારવાર દરમિયાન મોત,
- ભોગ બનેલા કેટરર્સના કર્મચારીઓ લગ્ન પ્રસંગે રસોઈ બનાવવા જઈ રહ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા અને બગોદરા વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી પરોઢે રામનગર નજીક બોલેરો પીકઅપવાન અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચારના મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. બોલેરો પિકઅપ વાન એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે પિકઅપ વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, આજે વહેલી પરોઢે 4.30 વાગ્યા આસપાસ બાવળા-બગોદરા હાઇવે પર રામનગર નજીક એક ચાની કીટલી પાસે પૂરપાટ ઝડપે દોડતી બોલેરો પિકઅપ વાન આગળ જઇ રહેલા ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જેમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતા જ બે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે અન્ય ચાર ઘાયલોને પ્રાથમિક સારવાર માટે બાવળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ અન્ય બે લોકોના પણ મોત નીપજતાં મૃત્યું આંક વધીને 4 થયો હતો. મૃતક અને ઘાયલ તમામ લોકો અમદાવાદના નરોડા સ્થિત 'બાલાજી કેટરર્સ' ના કર્મચારીઓ હતા, જેઓ નરોડાથી બગોદરા પાસેના એક રિસોર્ટમાં લગ્ન પ્રસંગે રસોઈ બનાવવા જઈ રહ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાવળામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, ઘાયલોની નાજુક હાલતને જોતા તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં એકની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.