ધોળકા જીઆઈડીસી નજીક હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયોના મોત
- અકસ્માતમાં ઈજાગ્રસ્ત વાછરડાને સારવાર આપી પાંજરાપોળ ખસેડાયુ,
- ગાયોના મોતથી જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો,
- પશુપાલકોની બેદરકારીથી હાઈવે પર રાતના સમયે પશુઓ બેસી રહે છે
ધોળકાઃ ચોમાસાની વરસાદી સીઝનમાં પશુઓ હાઈવે પર પણ અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. રાતના સમયે રોડ પર બેઠેલા પશુઓને લીધે અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે અમદાવાદ-ધોળકા-ખેડા હાઇવે પર ફરી એકવાર રખડતા પશુઓ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા છે. ધોળકા જીઆઈડીસી નજીક મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ચાર ગાયોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક વાછરડું ગંભીર ઈજાગ્રસ્ત થયું હતું. મૃત્યુ પામેલી ચાર પૈકી બે ગાયો ગર્ભવતી હતી. આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે.
અમદાવાદના ધોળકા હાઈવે પર જીઆઈડીસી પાસે મોજી રાતે કોઈ અજાણ્યા વાહનની અડફેટે ચાર ગાયના મોત નિપજ્યા હતા. સવારે ગાયોના મોતની જાણ થતાં જીવદયા પ્રમેમીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ચાર ગાયોના મોતથી જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. જવાબદાર વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અકસ્માત બાદ પશુઓના મૃતદેહો હાઇવે પર જ પડયા રહેતા અન્ય વાહન ચાલકો માટે પણ અકસ્માતનો ભય ઊભો થયો હતો. આ ઘટનાથી ફરી એકવાર હાઇવે પર રખડતા પશુઓની ગંભીર સમસ્યાની ચાડી ખાય છે. સ્થાનિક લોકોએ રખડતા પશુઓની સમસ્યાનું નિરાકરણ લાવવા અને મૃત ગાયો કોઈ માલિકની હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
બનાવની જાણ થતા પાલિકા દ્વારા મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત વાછરડાંને સારવાર આપી ધોળકા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યું હતું.