અમદાવાદ કલેકટર કચેરીમાં વારસાઈના કામ માટે લાંચ માગતા 3 વચેટિયા પકડાયા
- બે વકિલ સહિત 6 વ્યક્તિઓએ કામ કરી આપવા 75000 રૂપિયા માગ્યા હતા,
- ઓનલાઈન રૂપિયા આપવા છતાંય વારસાઈનું કામ ન થયું,
- એસીબીએ છટકું ગોઠવીને ત્રણ આરોપીની ધરપકડ કરી,
અમદાવાદઃ રેવન્યુ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય છે. રજિસ્ટ્રાર અને સબ રજિસ્ટ્રાર કચેરી આસપાસ એજન્ટો આટાફેરા મારતા જોવા મળતા હોય છે. અને તેમના અંદરના સંપર્કને લીધે અઘરા કામો પણ ત્વરિત થઈ જતા હોય છે. શહેરમાં કલેકટર કચેરીમાં આવેલી સબ રજિસ્ટ્રારની કચેરીમાં એક અરજદારને તેનું વારસાઈનું કામ કરી આપવાનું કહીને બે વકિલ સહિત 6 જેટલા લોકોએ 75000 માગીને કેટલાક રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ કામ ન થતાં અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી. આથી અરજદારને સાથે રાખીને છટકું ગોઠવીને એસીબીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બેની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ લાંચ માંગનાર વ્યક્તિઓમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.
આ કેસની વિગત એવી હતી કે, શહેરની કલેક્ટર કચેરીમાં આવેલા સબ રજીસ્ટ્રાર કચેરીમાં એક વ્યક્તિ તેના ભાઈના મૃત્યુ બાદ વારસાઈમાં હક રિલીઝ કરાવવા માટે ગયા હતા. તે સમયે બે વકીલ અને અન્ય ચાર લોકોએ ભેગા મળીને તેની પાસે આ કામ કરાવી આપવા માટે 75 હજાર રૂપિયા માંગ્યા હતા. જેથી તેમણે કેટલાક રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા તેમ છતાં કોઈ કામ ન થતાં તેમણે આ અંગે આખી વાત એન્ટીકરપ્શન બ્યુરોને કરી હતી અને તેમણે છટકું ગોઠવીને આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બેની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ લાંચ માંગનાર વ્યક્તિઓમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.
એસીબીના સૂત્રોના કહેવા મુજબ એક વ્યક્તિના ભાઇનું અવસાન થયું હતું અને મરણજનાર અપરિણીત હોવાથી તેઓના સીધી લીટીના વારસદાર તરીકે કોઇ હક્કદાર ન હતા. તે વ્યક્તિના અન્ય ભાઇ-બહેનોના નામો હક્કદાર તરીકે દાખલ થયા હતા. જેથી પોતાની તરફેણમાં હક્ક રિલીઝ માટે દસ્તાવેજ કરાવવા તેમણે આરોપી વકીલનો સંપર્ક કર્યો અને કામગીરી સોંપી હતી. જેથી તેમણે આ કામ કરવાના બદલામાં 14,850 ફી નક્કી કરી ગૂગલ પે મારફત મેળવ્યા હતા અને નિયમોનુસાર દસ્તાવેજ અંગે ભરવાની ફી પણ લીધી હતી. આ પ્રમાણે ફી મેળવી લીધા પછી ફરિયાદીના દસ્તાવેજની આગળની કાર્યવાહી ન થતા અરજદારે પૂછ્યું હતું ત્યારે પઢીનામામાં ‘ક્વેરી’ હોવાનું જણાવી, આ ‘ક્વેરી’ ઉકેલવા માટે સબ રજીસ્ટ્રારને રૂ. 75000 આપવા પડશે તેવું જણાવી લાંચનાં નાણાંની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચનાં નાણાં આપવા માંગતા નહોતા જેથી ભોગબનનારે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આરોપી કુશ મેહતા, સામાન્ય વ્યક્તિ અને મહિલા વકીલે સબ રજીસ્ટ્રારની કચેરીમાં જ લાંચના નાણાં રૂ.75000 ફરિયાદી પાસે માંગણી કરી રુપિયા લીધા હતા. આ રૂપિયા મહિલા વકિલે ભાગ પાડી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને વહેંચી દીધા હતા. લાંચના નાણાં લેવામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે? તે સંબંધે એસીબીની તપાસ ચાલુ છે તથા અન્ય આરોપીને પકડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.