અમદાવાદના આંબાવાડીમાં 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડી, 10 લોકોનું રેસ્ક્યુ કરાયુ
- આઝાદ સોસાયટી નજીક ફલેટ્સમાં બનેલા બનાવથી અફરાતફરીનો માહોલ સર્જાયો.
- પાણીની ટાંકી સાથે ધાબાનો સ્લેબ પણ તૂટી પડ્યો,
- સદનસિબે કોઈ જાનહાની ન થઈ
અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી આઝાદ સોસાયટી નજીક એક ફ્લેટ્સની 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ કરાતા શહેરના ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને પાણીની ટાંકી સાથે ધાબાનો સ્લેબ પણ પડતા ફ્લેટમાં 10 લોકો ફસાયા હતા. ફાયર વિભાગે 10થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તમામ લોકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી જૂની અને જાણીતી આઝાદ સોસાયટી પાસે આવેલા બીરજુ એપાર્ટમેન્ટમાં બે હજાર લીટરની પાણીની ટાંકી તૂટી પડી છે. જેના કારણે ટાંકીની નીચે આવેલો સ્લેબ પણ તૂટી પડ્યો છે. આ સ્લેબ તૂટવાનો અવાજ એટલો મોટો હતો કે, આસપાસના લોકો પણ ડરી ગયા હતા. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ મોટી જાનહાની સર્જાઈ નથી. આ બનાવની જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. અને ત્વરિત ફ્લેટના ટોપ ફ્લોર પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.
ફાયર વિભાગે આ અંગે જણાવ્યું છે કે, આઝાદ સોસાયટી પાસે આવેલા બિરજુ એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકી પડી ગઈ છેહતી અને કેટલાક લોકો ફસાયેલા છે. એવો કોલ મળતા તાકીદે ફાયર વ્હીકલ સ્ટાફ સહિત રવાના થયા અને બચાવ કામગીરી ચાલુ કરી હતી. જેમાં 10થી વધારે લોકોને સહી સલામત લેડરની મદદથી નીચે ઉતાર્યા છે. જેમાં એક માજીને પગે ફ્રેક્ચર થયું હતું જેમને પણ સીડીના ભાગેથી નીચે ઉતારવામાં આવ્યા હતા.