અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 196મું અંગદાન
બનાસકાંઠાના નરેશભાઇ ટાકરવાડાના અંગદાનથી એક લીવર, બે કીડની અને હ્રદય મળીને કુલ ૪ અંગોનુ દાન મળ્યુ, હૃદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આજે 196મું અંગદાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના મોટી ભાખર ગામના વતની નરેશભાઇ ટાકરવાડાને તારીખ 03.06.2025ના રોજ પાલનપુર નજીક રોડ અકસ્માત નળ્યો. આ માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ તા.૪.૦૬.૨૫ ના રોજ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 05.06.25ના રોજ ડૉક્ટરોએ નરેશભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇન ડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા તેમના ધર્મપત્ની રીટાબેન તથા હાજર તમામ પરીવારજનોએ નરેશભાઇના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.
બ્રેઇનડેડ નરેશભાઇના અંગદાનથી મળેલ બે કીડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની જ યુ.એન.મેહતા હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.. આમ આ અંગદાનથી કુલ ચાર લોકોની જિંદગી આપણે બચાવી શકીશુ તેમ ડૉ. જોષીએ જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 196 અંગદાતાઓ થકી કુલ 644 અંગો નું દાન મળેલ છે. જેમાં 171 લીવર, 358 કીડની, 13 સ્વાદુપિંડ, 62 હ્રદય, 32 ફેફસા, 6 હાથ, 2 નાના આંતરડાનો સમાવેશ થાય છે. આઉપરાંત સિવિલ હોસ્પીટલ સ્કીન બેંકને અત્યાર સુધીમાં 18 જેટલી ચામડીનું પણ દાન મળ્યુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આ અંગદાન મહાજ્ઞથી આજદિન સુધીમાં 625 જેટલા લોકોને નવી જિંદગી આપણે બક્ષી શક્યા છીએ તેમ ડૉ. જોષીએ ઉમેર્યું હતું.