ગુજરાતમાં કોરોનાના 1281 એક્ટિવ કેસ, અમદાવાદમાં 169 કેસ નોંધાયા
- અમદાવાદમાં કોરોનાના 71 દર્દીઓ સાજા થયા,
- મોટાભાગના કોરોનાના દર્દીઓ હોમ આઈસોલેશનમાં,
- અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 99 એક્ટિવ કેસ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ કોરોનાના 1281 જેટલા એક્ટિવ કેસ છે. ખાસ કરીને મહાનગરોમાં કોરોના કેસ વધુ જાવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા હતા. 71 દર્દી સાજા થતા તેમને ડીસ્ચાર્જ અપાયો હતો. શહેરના બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમા કોરોનાના સૌથી વધુ 265 એકટિવ કેસ સાથે શહેરમાં કુલ 859 એકિટવ કેસ છે. મોટાભાગના દર્દી હોમઆઈસોલેશનમાં છે.
અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 1260 કેસ નોંધાયા છે. 399 દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે.બે દર્દીના કોરોનાના કારણે મોત થયા હતા. શહેરના પૂર્વ વિસ્તાર એવા મણિનગર, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં કોરોનાના 99 એકટિવ કેસ છે. જ્યારે અમરાઈવાડી,ગોમતીપુર, નિકોલ સહિતના વિસ્તારોમાં કોરોનાના 48 કેસ નોંધાયેલા છે. નરોડા,કુબેરનગર સહિતના વિસ્તારોમાં કોરોનાના 28 કેસ જયારે ખાડીયા,જમાલપુર, શાહપુર અને દરિયાપુર સહિતના વિસ્તારોમાં કોરોનાના 24 એકટિવ કેસ નોંધાયા છે.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં આજે 12 જૂને કોરોનાના વધુ 9 નવા કેસ નોંધાયા છે. શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા 133 ઉપર પહોંચી ગઈ છે. જોકે આજે 9 દર્દીઓ કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 77 પર પહોંચી ગઈ છે. હાલ રાજકોટ શહેરમાં 56 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલમાં ગુજરાતમાં 1281 એક્ટિવ કેસ છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે, જે આરોગ્ય તંત્ર માટે એક મોટો પડકાર ઉભો કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે, જ્યારે તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમના ટેસ્ટ કરવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.