ખૈબર પખ્તૂનખ્વામાં આતંકીઓ સાથે અથડામણમાં 11 પાકિસ્તાની સૈનિકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઓરકઝાઈ જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકીઓ સાથે થયેલી ભયાનક અથડામણમાં પાકિસ્તાની સેનાના 11 જવાનો માર્યા ગયા છે. મૃત્યુ પામેલા સૈનિકોમાં લેફ્ટનન્ટ કર્નલ જુનૈદ આરિફ અને મેજર તૈયબ રાહતનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે તેમને રાત્રે ખૈબર પખ્તૂનખ્વાના ઓરકઝાઈ જિલ્લામાં TTP આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. તે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઑપરેશન શરૂ કર્યું હતું. અથડામણ દરમિયાન 11 સૈનિકો મોતના મોત થયાં હતા. જ્યારે 19 આતંકીઓ ઠાર મારાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સેનાએ ઘટનાસ્થળે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે સીલ કરી દીધો છે.
તાજેતરના મહિનાઓમાં ખૈબર પખ્તૂનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતોમાં આતંકી પ્રવૃત્તિઓમાં ભારે વધારો થયો છે. આતંકવાદીઓ દ્વારા સેના, પોલીસ અને તપાસ એજન્સીઓના અધિકારીઓ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે.
ટીટીપી અને પાકિસ્તાન સરકાર વચ્ચે 2022માં થયેલું સંઘર્ષવિરામ તૂટી જવાથી દેશમાં આતંકી હુમલાઓની સંખ્યા વધવા લાગી છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2025ની પહેલી ત્રણ ત્રિમાસિક ગાળામાં જેટલી હિંસાની ઘટનાઓ થઈ છે, એટલી ઘટનાઓ આખા 2024 વર્ષમાં થઈ નહોતી.