ભારતમાં ધોરીમાર્ગો ઉપર એક્સપ્રેસવે પર 1087 ટોલ પ્લાઝા કાર્યરત
ભારતમાં રસ્તાઓનું નેટવર્ક જેટલી ઝડપથી વિસ્તરી રહ્યું છે, તેટલી જ ઝડપથી ટોલ પ્લાઝામાંથી થતી આવક પણ આસમાને પહોંચી રહી છે. જ્યારે પણ તમે કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અથવા એક્સપ્રેસવે પર મુસાફરી કરો છો, ત્યારે વાહનચાલકોને ટોલ ટેક્સ ચૂકવવો પડે છે જે રસ્તાઓના બાંધકામ, જાળવણી અને માળખાગત સુવિધાઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, જૂન 2025 સુધીમાં દેશમાં કુલ 1,087 ટોલ પ્લાઝા કાર્યરત છે. આ ટોલ પ્લાઝા ભારતના 1.5 લાખ કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કનો ભાગ છે, જેમાંથી લગભગ 45,000 કિલોમીટર પર ટોલ વસૂલવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ટોલ પ્લાઝાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. દેશમાં હાલમાં જે ટોલ પ્લાઝા છે તેમાંથી, છેલ્લા પાંચ વર્ષમાં 457 ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યા છે. આ વૃદ્ધિ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને ફાસ્ટેગ જેવી ટેકનોલોજીના વ્યાપક ઉપયોગનું પરિણામ છે. લોકસભામાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, આ 1,087 ટોલ પ્લાઝા દરરોજ સરેરાશ 168.24 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એટલે કે, વાર્ષિક ધોરણે, આ રકમ લગભગ 61,408.15 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. આ આંકડો ભારતના રોડ નેટવર્કની નાણાકીય મજબૂતાઈ દર્શાવે છે. ખાસ વાત એ છે કે ફાસ્ટેગના અમલીકરણથી ટોલ ચોરીમાં ઘટાડો થયો છે, જેના કારણે 2023-24માં ટોલ વસૂલાત બમણી થઈને 55,882 કરોડ રૂપિયા થઈ ગઈ છે જે 2019-20માં 27,504 કરોડ રૂપિયા હતી. છેલ્લા પાંચ વર્ષમાં કુલ ટોલ વસૂલાત 1.93 લાખ કરોડ રૂપિયા રહી છે.
ગુજરાતના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત ભરથાણા ટોલ પ્લાઝા દેશમાં સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા છે. સરકારી આંકડા અનુસાર, તેણે ફક્ત 2023-24માં જ 472.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી રાજસ્થાનનો શાહજહાંપુર ટોલ પ્લાઝા અને પશ્ચિમ બંગાળનો જલાધુલાગોરી ટોલ પ્લાઝા આવે છે. ઉત્તર પ્રદેશનો બડાજોર ચોથા સ્થાને અને હરિયાણાનો ઘરૌંડા ટોલ પ્લાઝા પાંચમા સ્થાને છે.